સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનો સંકલ્પ: ૨૧,૦૦૦ દીકરીઓને મળશે ₹૭,૫૦૦ની સહાય
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે “હિરાબા નો ખમકાર” અભિયાન હેઠળ અત્યાર સુધી ૨૫૧ દીકરીઓને સહાય, ધનતેરસે વધુ ૧૫૧ને મળશે લાભ
સુરત: શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હિરાબાના નામથી “હિરાબા નો ખમકાર” શિર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ ૨૧,૦૦૦ આર્થિક રીતે નબળી દીકરીઓને ₹૭,૫૦૦ની સહાય આપવા નો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી મા શૈક્ષણિક સહાય મળશે.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે.
આ અભિયાનનો શુભારંભ શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં ૨૫૧ દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ ૧૫૧ દીકરીઓને સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૯૩ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે.
સમાજસેવાની ભાવના સાથે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે.